Gujarat News :ગુજરાતમાં શિક્ષાના ધામમાં બાળકીઓ સાથે કુકર્મની 24 કલાકમાં બે ઘટનાઓ સામે આવતા ખળભળાટ મચી ગયો છે
Gujarat News :ગુજરાતમાં શિક્ષાના ધામમાં બાળકીઓ સાથે કુકર્મની 24 કલાકમાં બે ઘટનાઓ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. અમરેલીમાં શિક્ષકે જ સગીર વિદ્યાર્થિની પર 2 વખત દુષ્કર્મ આચર્યાની ઘટના બની છે, તો આણંદના આંકલાવમાં શિક્ષકે બે વિદ્યાર્થિનીને શારીરિક અડપલા કર્યા હતા. મામલો સામે આવતા વાલીઓએ પોલીસ સ્ટેશનમાં શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

આંકલાવમાં શિક્ષકે કર્યા વિદ્યાર્થિનીઓ સાથે અડપલા
વિગતો મુજબ, આણંદના આંકલાવમાં આવેલી કોસિન્દ્રા શિક્ષક દ્વારા સ્કૂલમાં બે વિદ્યાર્થિનીઓ સાથે શારીરિક અડપલાં કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થિનીઓએ સ્કૂલે જવાનું બંધ કરી દેતા પરિવારને શંકા ગઈ હતી. જે પછી વિદ્યાર્થિનીઓ દ્વારા તેમના વાલીઓને જાણ કરાતા મામલો બીચકયો હતો અને વાલીઓ અને ગ્રામજનોએ સ્કૂલમાં હોબાળો મચાવ્યો હતો.
જે બાદ વાલીઓએ કિરણ વાળંદ નામના શિક્ષકને પોલીસના હવાલે કરીને ફરિયાદ નોંધાવી હતી. આંકલાવ પોલીસે શિક્ષક સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમરેલીમાં શિક્ષકે વિદ્યાર્થિની પીંખી નાખી
તો બીજી તરફ અમરેલીમાં પણ મોટા આસરાણા ગામ નજીક આવેલી ખાનગી સ્કૂલના શિક્ષકે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું હતું. નરાધમ શિક્ષકે સગીર વિદ્યાર્થિની પર 2 વાર દુષ્કર્મ ગુજાર્યું હતું. દુષ્કર્મ આચર્યા બાદ શિક્ષક સામે ડુંગર પોલીસમાં ફરીયાદ નોંધાઈ છે. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી શિક્ષક મોહીત જીંજાળાને મહુવા તાલુકાના બોરડી ગામ નજીકથી ઝડપી પાડયો હતો.