Bhavnagar News :ભાવનગર જિલ્લાના સિહોર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના કેસમાં લાવવામાં આવેલા કથિત આરોપીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે
Bhavnagar News :ભાવનગર જિલ્લાના સિહોર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના કેસમાં લાવવામાં આવેલા કથિત આરોપીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. યુવકને ગુરુવારે રાત્રે દારૂના કેસ બાબતે અટકાયત કરીને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો હતો. જોકે સવારે યુવકે પોલીસ સ્ટેશનના ઉપરના માળે બારીમાંથી કૂદકો માર્યો હતો, જેમાં નીચે પટકાતા તેનું મોત થયું હતું.

દારુબંધીના ગુનામાં યુવકની કરાઈ હતી અટકાયત
વિગતો મુજબ, ભાવનગર જિલ્લાના સિહોર પોલીસ સ્ટેશનમાં 35 વર્ષીય વિપુલ ચૌહાણની ગઈકાલે રાત્રે દારૂના નશામાં હોવાના કારણે અટકાયત કરવામાં આવી હતી. આરોપી યુવકને પોલીસ સ્ટેશનમાં જ રાખવામાં આવ્યો હતો, જ્યાં આજે સવારે તેણે ઉપરના માળે આવેલી બારીમાંથી નીચે કૂદકો માર્યો હતો. જેમાં નીચે પટકાતા તેનું મોત થઈ ગયું હતું. આ અંગે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.
અગાઉ મહુવા પોલીસ સ્ટેશનમાં યુવકે પીધું હતું એસિડ
નોંધનીય છે કે, આ વર્ષે જાન્યુઆરી મહિનામાં જ ભાવનગરના મહુવા પોલીસ સ્ટેશનમાં એક આરોપીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ચોરીના ગુનામાં યુવકને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લવાયો હતો, જ્યાં તેણે બાથરૂમમાં જઈને એસિડ પી લીધું હતું. જે બાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.