છોટા ઉદેપુર : સમગ્ર ગુજરાતને હચમચાવી નાખનાર નકલી કચેરી અસલી કૌભાંડ મામલે છોટા ઉદેપુર પોલીસે વધુ એક 75 વર્ષીય વૃદ્ધ આરોપીની દાહોદ ખાતેથી ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી તપાસ હાથ ધરી છે.
છોટા ઉદેપુર : નકલી સિંચાઈ કચેરીનો મામલો
ગુજરાતને નકલીનું બિરુદ આપનાર કૌભાંડ નકલી કચેરી અસલી કૌભાંડ મામલે છોટા ઉદેપુર જીલ્લા પોલીસ હજુ પણ તલસ્પર્શી તપાસ ચલાવી રહી છે. અત્યાર સુધી નકલી કચેરી અસલી કૌભાંડમાં રૂ.21.15 કરોડનું કૌભાંડ કર્યું હોવાનું બહાર આવ્યું છે જેમાં પ્રાયોજના વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત 10 જેટલા લોકોની ધરપકડ કરી ચૂકી છે.અને હજુ વધુ આરોપીઓની શોધખોળ ચલાવી રહી છે. ત્યારે આ નકલી કચેરી અસલી કૌભાંડનો રેલો દાહોદ સુધી પહોંચતા દાહોદ પોલીસે પણ કેટલાક આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં એક 75 વર્ષીય વૃદ્ધ નરોત્તમ પરમારની ટ્રાન્સફર વોરંટ થી કબજો મેળવી ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

નરોત્તમ પરમારની નકલી કચેરીના મુખ્ય સંદીપ રાજપૂત સાથે જોઇન્ટ એકાઉન્ટ હતું, જેમાં બે કરોડ કરતાં વધુ રકમના ટ્રાંજેકશન કર્યા હતા જેને લઇને તેની ધરપકડ કરવામાં આવી છે. હાલ તો છોટા ઉદેપુર પોલીસ નરોત્તમ પરમારની પૂછપરછ કરીને તપાસ ચલાવી રહી છે. અને આગામી દિવસોમાં વધુ આરોપીઓની ધરપકડ થાય તેવા એંધાણ મળી રહ્યાં છે.
હજુ છોટા ઉદેપુરના પૂર્વ પ્રાયોજના અધિકારી આર.કે.જાડેજા ફરાર ચાલી રહ્યા છે. ઉલ્લેખનીય વાત એ છે કે આર.જે.જાડેજાની છોટા ઉદેપુરથી બદલી થયાના થોડાક મહિનામાં જ કૌભાંડ બહાર આવ્યું છે અને સરકારના ઉચ્ચ અધિકારી હજુ પણ ફરાર ચાલી રહ્યા છે અને પોલીસ પકડથી ભાગી રહ્યા છે.