Vadodara News :વડોદરામાં મધ્ય પ્રદેશના એક બાબાએ પોતાનો દરબાર લગાવ્ય હતો, પરંતું આ દરબારની પુર્ણાહુતિના દિવસે એક ભક્તે બાબાને જાહેરમાં પડકાર ફેંક્યો હતો
Vadodara News :વડોદરામાં મધ્ય પ્રદેશના એક બાબાએ પોતાનો દરબાર લગાવ્ય હતો. પરંતું આ દરબારની પુર્ણાહુતિના દિવસે એક ભક્તે બાબાને જાહેરમાં પડકાર ફેંક્યો હતો. પરંતુ બાબા ભક્ત અને તેના પિતાનું નામ બતાવી શક્યા ન હતા. જેના બાદ બાબા અને ભક્ત વચ્ચે બોલાચાલી થઈ હતી. હાલ આ બોલાચાલીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

Vadodara News :વડોદરામાં આદર્શ કૃષ્ણ શાસ્ત્રી મહારાજના દિવ્ય દરબારમાં બબાલ થઈ હતી. મધ્યપ્રદેશના શ્રી સિદ્ધેશ્વરધામ સરકારના આદર્શ કૃષ્ણ શાસ્ત્રી મહારાજ પરચો કાઢી લોકોની સમસ્યાનું સમાધાન કરવાનો દાવો કરે છે. ત્યારે વડોદરામાં તેમનો દરબાર લગાવાયો હતો. જેમાં એક ભક્તે દિવ્ય દરબારમાં આદર્શ કૃષ્ણ શાસ્ત્રી મહારાજને પોતાનું નામ બતાવવાનો ચેલેન્જ ફેંકી હોબાળો કર્યો હતો.
વડોદરા શહેરના છેવાડે સેવાસી પાસેના એક ફાર્મમાં 17-18 ફેબ્રુઆરીના રોજ શ્રી સિદ્ધેશ્વરધામ સરકાર (સતના)ના આદર્શ કૃષ્ણ શાસ્ત્રીના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવ્ય દરબારના પૂર્ણાહુતિના દિવસે એક વ્યક્તિ દરબારમાં પહોંચી ગયો હતો અને શાસ્ત્રી સમક્ષ બેસી જઈને પોતાનું નામ અને પિતાનું નામ બતાવવા માટે ચેલેન્જ કરી હતી. જોકે, શાસ્ત્રીએ ચેલેન્જ કરનારને તેનું નામ અને તેના પિતાનું નામ બતાવવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.
આદર્શ કૃષ્ણ શાસ્ત્રી મહારાજ ભક્ત અને તેના પિતાનું નામ જ બતાવી ન શક્યા હતા. બાબા અને ભકત વચ્ચે થયેલી તડાફડીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ દિવ્ય દરબારમાં ભક્તોની ભારે પાંખી હાજરી જોવા મળી હતી. સુથારી કામ કરતાં ભક્ત અને આદર્શ કૃષ્ણ શાસ્ત્રી મહારાજ વચ્ચે 5 મિનીટ સુધી ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઉલ્લેખનીય છે કે, ભાજપના નેતા ડો હિતેન્દ્ર પટેલ, નિલેશકુમાર સોલંકી અને રવિકુમાર સોલંકીએ આ દિવ્ય દરબારનું આયોજન કર્યુ હતું.
ભક્ત અને બાબા વચ્ચેની બોલાચાલી રસપ્રદ અને અન્ય ભક્તો માટે હાસ્યાસ્પદ બની રહી હતી. ભક્ત તેના અને તેના પિતાનું નામ જણાવવા બાબાને ચેલેન્જ ફેંકી હતી. બાબાએ આ વાત પર કહ્યુ હતું કે, આ રીતે દરેક વ્યક્તિ આવી જાય છે, તો શુ અમે જિંદગીભર પ્રમાણ આપતા રહીશું. નહિ. કોઈએ પ્રમાણ આપ્યો હોય તેવો આવો કોઈ વીડિયો છે કોઈની પાસે. અમે તમને ભક્તિની શક્તિ બતાવી રહ્યાં છીએ.