Surendranagar News :સુરેન્દ્રનગરના વસ્તડી ગામની શાળામાં શિક્ષણ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે
Surendranagar News :સુરેન્દ્રનગરના વસ્તડી ગામની શાળામાં શિક્ષણ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. શાળામાં અભ્યાસ કરતા ધો.9ના વિદ્યાર્થીને કથિત રીતે શાળા શિક્ષકે મોટર ચાલુ કરવા માટે મોકલ્યો હતો, જોકે મોટર ચાલુ કરતા જ કરંટ આવતા બાળક શાળામાં ઢળી પડ્યો હતો. આથી તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જોકે ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે.

મોટર ચાલુ કરવા જતા કરંટ લાગ્યો
વિગતો મુજબ, વસ્તડીની શાળામાં ધો.9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શાળામાં આવેલી મોટર ચાલુ કરવા જતા કરંટ લાગ્યો હતો અને સ્થળ પર જ બેભાન થઈને ઢળી પડ્યો હતો. ત્યારે શાળામાં બાળકને કોણે મોટર ચાલુ કરવાનું કામ સોંપ્યુ તેના પર સવાલો ઉઠી રહ્યા છે. શાળાના શિક્ષકે જ કિશોરને પાણીની મોટર ચાલુ કરવા મોકલ્યો હોવાની ચર્ચાઓ છે. કિશોરના વાલીઓ દ્વારા આ સમગ્ર મામલે યોગ્ય તપાસની માંગ કરવામાં આવી રહી છે.
ઘટનાની જાણ થતા જ પોલીસ શાળાએ પહોંચી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. તો ઘટનાને લઈને શિક્ષણાધિકારી પણ હરકતમાં આવી ગયા હતા અને શાળાના આચાર્યને તપાસના આદેશ આપી દીધા છે. આ ઘટનાની ગાંધીનગરથી શિક્ષણ વિભાગે પણ ગંભીર નોંધ લીધી છે, ત્યારે ખરેખર કોની ભૂલના કારણે માસુમ બાળકનો જીવ ગયો તે તપાસ બાદ જ સામે આવી શકે છે.