Surat News :સુરતમાં પોલીસના ત્રાસના કારણે એક પ્રોઢે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે
Surat News :રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અનેક વખત પોલીસને ઉંમર લાયક વ્યક્તિને પાણી આપીને તેમની સાથે પ્રેમથી વાત કરવાની સલાહ આપી છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રીની સલાહની પોલીસ પર કોઈ જ અસર ન થઈ રહી હોય તેવું જોવા મળી રહ્યું છે. સુરતમાં પોલીસના ત્રાસના કારણે એક પ્રોઢે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. સુસાઈડ નોટમાં પ્રોઢે છેલ્લા ત્રણ-ચાર દિવસથી પોલીસ કર્મી એ.એ.આહીર ફોન કરીને ટોર્ચર કરતા હોવાનો ગંભીર લગાવ્યો છે. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Surat News :પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના પાલ રોડ ખાતે આવેલા સુમન છાયા ખાતે રહેતા અને સુથારી કામ કરીને ગુજરાન ચલાવતા કિશોરભાઈ મનસુખભાઈ ગોહીલ (ઉં.વ 51)એ બુધવારે રાત્રે તેમના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ અગેની જાણ પોલીસને કરાતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. આ દરમિયાન પોલીસને એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી. જેમાં તેઓએ રૂપિયા 50 હજારની ઉઘરાણી માટે પોલીસકર્મી એ.એ આહીર ટોર્ચર કરતા હોવાથી ટેન્શનમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
કિશોરભાઈએ આપઘાત કરતા પહેલા સુસાઈડ નોટમાં લખવામાં લખ્યું હતું કે, પ્રિય લતા, મયુર, ક્રિષ્ના, હું તમને છોડીને જવ છું. તો તમે મને માફ કરી દેજો. કારણ કે, મને ટેન્શન એટલું વધી ગયું છે અને એક પોલીસ ઇન્સપેક્ટર, વેડરોડ, હરિઓમ મિલ પાસે પોલીસ ચોકી, કોલ કરીને મને છેલ્લા ત્રણથી ચાર દિવસથી ટોર્ચર કરે છે. જેનું નામ છે એ.એ. આહીર. લેન્ડલાઇન નંબર 0261 2462570 છે. દરેક સગા સંબંધીઓને મારા સાદર પ્રણામ મારાથી ભુલચૂક થઇ હોય તો મને માફ કરી દેજો.
તેઓએ વધુમાં લખ્યું છે કે, મેં વિનયભાઈ પાસેથી 50,000 રૂપિયા લીધા હતા. તેમણે પોલીસને કહ્યું હતું. તે મને ટોર્ચર કરતા હતા. જે પીએસઆઈ મારી લાશની તહેકીકાત કરે તેમને જણાવવાનું કે બીજા કોઈને આ રીતે ટોર્ચર કરી મજબૂરીનો લાભ ન ઉઠાવે. હાલ પોલીસે મૃતકની સુસાઈડ નોટના આધારે તપાસ શરૂ કરી દીધી છે.