Surat News :સુરતના મોટા વરાછા વિસ્તારમાં કોર્પોરેટર જીતુ કાછડીયાના 17 વર્ષીય પુત્રનું આગની ઘટનામાં મોત નિપજ્યુ છે
Surat News :સુરતના મોટા વરાછા વિસ્તારમાં કોર્પોરેટર જીતુ કાછડીયા ના 17 વર્ષીય પુત્રનું આગની ઘટનામાં મોત નિપજ્યુ છે. મોટા વરાછામાં આનંદધારા સોસાયટીમાં રહેતા AAPના કોર્પોરેટર જીતુ કાછડીયાના ઘરે આગની ઘટના બની હતી. આગ લાગી ત્યારે સાત વ્યક્તિઓ ઘરમાં હતા તમામ વ્યક્તિઓ બહાર નીકળી ગયા હતા પરંતુ 17 વર્ષનો પ્રિન્સ કાછડીયા બહાર નીકળી ન શકતા મોત નિપજ્યુ હતુ.

આગામી તા. 11 માર્ચથી શરૂ થઈ રહેલી ધો. 12 ની બોર્ડની પરીક્ષાને લઈ પ્રિન્સ બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. ત્યારે આખો પરિવાર સૂઈ રહ્યો હતો. ત્યારે મોડી રાત્રે બે વાગ્યાનાં સુમારે અચાનક મકાનમાં આગ ભભૂકી ઉઠી હતી. ત્યારે થોડી જ ક્ષણોમાં આગે ભીષણ સ્વરૂપ ધારણ કરી દીધું હતું.
મકાનનાં બીજા માળે જીતેન્દ્ર કાછડિયાનાં પરિવારના સાત સભ્યો સૂઈ રહ્યા હતા. તે દરમ્યાન આગની ઘટના બનતા સમગ્ર પરિવારજનોમાં ભયનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. ઘરમાં આગ લાગી હોવાની જાણ પ્રિન્સ તેમજ તેના ભાઈને તેના કાકાએ જઈને જગાડ્યા હતા. જે બાદ તેઓએ બહાર નીકળવા પ્રયત્ન કર્યો હતો. પરંતું તેઓ બહાર નીકળી શકે તેવી સ્થિતિ ન હતી.
ત્યારે આગ એટલી ભીષણ હતી કે, થોડાક જ સમયમાં સમગ્ર મકાનનાં ધૂમાડો ધૂમાડો થઈ જવા પામ્યો હતો. જેથી પ્રિન્સ બહાર નીકળી શક્યો ન હતો. આગમાં દાઝી જવાના કારણે પ્રિન્સ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ઘટનાની જાણ ફાયર ફાઈટરને થતા ફાયર ફાઈટરનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.