Surat Crime News :સુરતના કતારગામમાં પ્રેમીએ પ્રેમિકાને કેરોસીન છાંટીને જીવતી સળગાવી દેતા ચકચાર મચી જવા પામી છે
Surat Crime News :સુરતના કતારગામમાં પ્રેમીએ પ્રેમિકાને કેરોસીન છાંટીને જીવતી સળગાવી દેતા ચકચાર મચી જવા પામી છે. મહિલા અન્ય કોઈ વ્યક્તિ સાથે પ્રેમ સંબંધમાં છે તેવી શંકા રાખીને પ્રેમીએ પ્રેમિકાને જીવતી સળગાવી નાખી છે. હાલ પોલીસે હત્યારાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Surat Crime News :રાધા સાથે જ રહેતો હતો શંભુ
મળતી માહિતી અનુસાર, મૂળ રાજસ્થાનનો અને હાલ સુરત કતારગામ ખાતે રહેતો શંભુ આડા છૂટક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. તેને રાધા નામની એક પરણીત મહિલા સાથે પ્રેમ હતો. તે કતારગામની લલિતા ચોકડી પાસે આવેલા એક કોમ્પલેક્ષ પાસે રાધા સાથે લીવ ઈનમાં રહેતો હતો. છેલ્લા 8 વર્ષથી રાધા અને શંભુને પ્રેમ સંબંધ હતા.
પ્રેમીને પ્રેમિકા ઉપર હતી શંકા
પરંતુ કહેવાય છે ને કે સંબંધોમાં જ્યારે પણ વહેમ આવે ત્યારે સંબંધ તૂટી જાય છે. આવું જ કઈક આ ઘટનામાં પણ બન્યું. તેને લાગતું હતું કે રાધાને કોઈ અન્ય વ્યક્તિ સાથે પ્રેમ થઈ ગયો છે. આ શંકા તેના મગજમાં ઘર કરી ગઈ હતી. નકારાત્મક વિચારો જ તેના મગજમાં ઘુમ્યા કરતા હતા. ગઈકાલે રાત્રે 2.00 વાગ્યાની આસપાસ રાધા સૂતી હતી, ત્યારે અચાનક શંભુ કેરોસીન લઈ આવ્યો.
રાત્રે કેરોસીન છાંટી સળગાવી
રાધા જ્યારે ભર ઊંઘમાં હતી, ત્યારે તેણે રાધાની ઉપર કેરોસીન છાંટ્યું અને તેને સળગાવી દીધી. આ અંગેની જાણ થતાંની સાથે જ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસ દ્વારા તાત્કાલિક મહિલાને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરી હતી. જોકે, સારવાર દરમિયાન રાધાનું મોત થયું હતું.
પોલીસે આરોપીને ઝડપી પાડ્યો
જે બાદ કતારગામ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મહિલાને 2 સંતાનો હોવાનું સામે આવ્યું હતું અને મૃતકના પ્રેમીએ જ હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. હાલ કતારગામ પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.