Lok Sabha Election 2024 :રાજુલાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર અને પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાશે
Lok Sabha Election 2024 :લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. વાત જાણે એમ છે કે, રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાના આગમન સમયે જ કોંગ્રેસના બે દિગ્ગજ નેતાએ રાજીનામું ધરી દીધું છે. રાજુલાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર અને પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાશે. આજે ગાંધીનગર સ્થિતિ ભાજપ કાર્યાલય કમલમ ખાતે ભરતીમેળામાં આ બંને નેતાઓ સાથે તેમના સમર્થકો પણ કેસરીયો ધારણ કરશે.

રાજ્યમાં લોકસભા ચૂંટણીના સમયે યુવાનો નોકરી મેળા માટે રાહ જોઇ રહ્યા છે. જોકે રાજ્યમાં હવે નેતાઓનો ભરતીમેળો ખૂબ ફુલ્યોફાલ્યો છે. રાજ્યમાં અનેક નેતાઓ પોતાના રાજકીય કારકિર્દીના પ્રમોશન માટે પાર્ટી બદલી રહ્યા છે. ત્યારે આજે ગાંધીનગર કમલમમાં ભરતી મેળાનું આયોજન કરાયું છે. કોંગ્રેસના પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયા ભાજપમાં જોડાશે. દાયકાઓ સુધી કોંગ્રેસ સાથે રહેનાર અર્જુન મોઢવાડિયા આજે ભાજપનો ખેસ પહેરશે. આ સાથે તો રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેર ભાજપમાં જોડાશે. કોંગ્રેસના બંન્ને નેતાઓ પોતાના સમર્થકો અને કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાવાના છે.

વિગતો મુજબ અર્જુન મોઢવાડિયા અને અંબરીષ ડેરને આવકારવા આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ કમલમમાં ઉપસ્થિત રહેવાની શક્યતા છે. બપોરે 12 કલાકે કમલમ ખાતે કોંગ્રેસના બંન્ને નેતાઓ ભાજપમાં જોડાશે. મહત્વનું છે કે,સોમવારે માત્ર 8 કલાકના ગાળામાં કોંગ્રેસના અંબરીષ ડેર બાદ અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. લોકસભા ચૂંટણી અને રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશે તે પહેલા જ ભાજપે કોંગ્રેસની નાવડી મઝધારે ડગમગાવી દીધી છે. આ તરફ ભાવનગર અને ભરૂચમાં ગઠબંધન ઉમેદવાર ઉતારનાર કોંગ્રેસને સંગઠન ક્ષેત્રે મોટું નુકસાન થશે તેમાં કોઇ બેમત નથી.