Farmers protest :ખેડૂતોના આંદોલનને ધ્યાનમાં રાખીને સુરક્ષાના કારણોસર દિલ્હીના લાલ કિલ્લાને સામાન્ય લોકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે.
Farmers protest :આજે એટલે કે 13મી ફેબ્રુઆરીએ ખેડૂતોની ‘દિલ્હી ચલો’ માર્ચને કારણે તમામ બોર્ડરો સીલ કરી દેવામાં આવી છે. કેન્દ્રીય મંત્રીઓ અને ખેડૂત નેતાઓ વચ્ચે મોડી રાત સુધી બેઠક ચાલી હતી. સરકારે આંદોલન પર અડગ રહેલા અન્નદાતાઓને મનાવવાના તમામ પ્રયાસો કર્યા હતા, પરંતુ 5 કલાકથી વધુ ચાલેલી બેઠક અનિર્ણિત રહી હતી. તે પછી ખેડૂત નેતાઓએ આર-પારની જંગનું એલાન કરતા કહ્યું કે દિલ્હી કૂચ થઈને રહેશે. ખેડૂતોના આંદોલનને ધ્યાનમાં રાખીને દિલ્હી-NCRમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.

Farmers protest :લાલ કિલ્લાને કરાયો બંધ
ખેડૂતોના આંદોલનને ધ્યાનમાં રાખીને સુરક્ષાના કારણોસર દિલ્હીના લાલ કિલ્લાને સામાન્ય લોકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે. સાથે જ લાલ કિલ્લાના મુખ્ય દરવાજા પર અનેક લેયરની બેરિકેડિંગ કરવામાં આવી છે. લાલ કિલ્લાના દરવાજા પર બસો અને ટ્રકો પાર્ક કરવામાં આવી છે જેથી કરીને કોઈ વાહન અંદર પ્રવેશી ન શકે. તો કેન્દ્રીય સચિવાલય મેટ્રો સ્ટેશનના શાસ્ત્રી ભવન ગેટને પણ સુરક્ષા કારણોસર બંધ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત પટેલ ચોક મેટ્રો સ્ટેશન પર પણ તાળા મારી દેવામાં આવ્યા છે.
Farmers protest :અન્ય મેટ્રો સ્ટેશન પણ કરી શકાય છે બંધ
પટેલ ચોક મેટ્રો સ્ટેશન અને સેન્ટ્રલ સચિવાલય મેટ્રો સ્ટેશનની સાથે-સાથે દિલ્હીના કેટલાક અન્ય મેટ્રો સ્ટેશનના ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે. દિલ્હી મેટ્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર સુરક્ષાના કારણોસર રાજીવ ચોક, ઉદ્યોગ ભવન, મંડી હાઉસ, બારાખંબા રોડ, જનપથ, ખાન માર્કેટ અને લોક કલ્યાણ માર્ગ મેટ્રો સ્ટેશનના કેટલાક પણ દરવાજા બંધ કરી શકાય છે.
આ રાજ્યમાંથી ખેડૂતો આવી રહ્યા છે દિલ્હી
આપને જણાવી દઈએ કે, પંજાબ, હરિયાણા અને યુપીથી ખેડૂતો દિલ્હી આવવા લાગ્યા છે. જેના કારણે દિલ્હીને અડીને આવેલી તમામ બોર્ડરો પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. વાસ્તવ MSP સહિત અન્ય માંગોને લઈને આંદોલન કરવામાં આવી રહ્યું છે. ખેડૂતોને મનાવવા માટે સોમવારે લગભગ 5 કલાક સુધી વાતચીત ચાલી. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને અર્જુન મુંડા આ બેઠકમાં સામેલ હતા.
ખેડૂતોના આંદોલનને ધ્યાનમાં રાખી પોલીસ એલર્ટ
ખેડૂતોની દિલ્હી કૂચને ધ્યાનમાં રાખીને પોલીસ એલર્ટ થઈ ગઈ છે. ખેડૂતોના આંદોલનને ધ્યાનમાં રાખીને અનેક વિસ્તારોમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. શહેરમાં ટ્રેક્ટર ટ્રોલને મંજૂરી આપવામાં આવી રહી નથી. સોશિયલ મીડિયા પર પણ નજર કરવામાં આવી રહી છે.