Ahmedabad News :બાંકડા પર મહિલા તબીબે હાથ પર ઈંજેક્શન મારી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી
Ahmedabad News :અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પરિસરમાં બાંકડા પર મહિલા તબીબે હાથ પર ઈંજેક્શન મારી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે તબીબ મહિલાએ કરેલ આત્મહત્યાને લઈ અનેક શંકા-કુશંકાઓ સેવાઈ રહી છે. આ બાબતે ગાયકવાડ હવેલી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તબીબ યુવતીનાં મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો હતો. તેમજ પેનલ ર્ડાક્ટર મારફતે મૃતદેહનું પીએમ કરવામાં આવ્યું હતું.

ખેડા જીલ્લાનાં બાલાસિનોરનાં વતની અને અમદાવાદ ખાતે શિવરંજની વિસ્તારમાં રહેતા પીજીમાં રહેતા વૈશાલી જોશીએ જેઓ અમદાવાદ ખાતે ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા. ગત રોજ બુધવારે 4 વાગ્યા આસપાસ વૈશાલીબેનનો મૃતદેહ ક્રાઈમ બ્રાંચની ઓફીસમાં ઈઓડબ્લ્યુની ઓફીસ બહાર બાંકડા પરથી મળી આવ્યો હતો. તેમજ વૈશાલીબેનનાં હાથમાં વીંગો હતી. તેમજ આજુબાજુમાંથી ઈંજેક્શન પણ મળી આવ્યા હતા. જેથી તેમણે આત્મહત્યા કરી હોવાની પોલીસને શંકા ગઈ હતી. ત્યારે આ બાબતની જાણ ગાયકવાડ હવેલી પોલીસને થતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી યુવતીનાં મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો.
અમદાવાદમાં ક્રાઈમ બ્રાંચ પરિસરમાં ર્ડાક્ટર વૈશાલી જોશીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. મૃતક ર્ડાક્ટરનાં પર્સમાંથી 15 પેજની સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં ક્રાઈમ બ્રાંચનાં પીઆઈ બી.કે.ખાચર વિરૂદ્ધ આક્ષેપ કરવામાં આવ્યા હતા. તેમજ પીઆઈ ખાચરથી કંટાળી યુવતીએ જીવન ટૂંકાવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ત્યારે આર્થિક ગુના નિવારણ શાખામાં ફરજ બજાવતા પીઆઈ તેમજ મૃતક વચ્ચે પ્રેમ સબંધ હોવાનું જાણવા મળી રહ્યું છે. વૈશાલીબેનની મુલાકાત અને આપઘાત બાબતને લઈ પોલીસ દ્વારા મૌન સેવવામાં આવી રહ્યું છે. પોસ્ટમોર્ટમ બાદ આપઘાતનું સાચુ કારણ જાણવા મળી શકે છે. ત્યારે હાલ તો ગાયકવાડ હવેલી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.