અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે વર્ષ 2023માં 1.01 કરોડ મુસાફરોની અવર-જવર નોંધાઇ છે.
અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે વર્ષ 2023માં 1.01 કરોડ મુસાફરોની અવર-જવર નોંધાઇ છે. ગત વર્ષે મુસાફરોની અવર-જવર મામલે સૌથી વ્યસ્ત એરપોર્ટમાં અમદાવાદ સાતમાં સ્થાને છે. નાણાંકીય વર્ષમાં 1 કરોડ મુસાફરોનો આંક ગત વર્ષ કરતાં 50 દિવસ પહેલા જ હાંસલ કરી લેવાયો.

10 મિલિયનથી વધુ મુસાફરોને સર્વિસ આપી
અમદાવાદ એરપોર્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ એરપોર્ટે ચાલુ નાણાકીય વર્ષમાં 8 ફેબ્રુઆરી 2024 સુધીમાં 10 મિલિયનથી વધુ મુસાફરોને સેવા આપી નોંધપાત્ર સીમાચિહ્નને પાર કર્યું છે. આ નોંધપાત્ર સિદ્ધિ ગત વર્ષની સરખામણીમાં 50-દિવસ વહેલા મળી છે. અગાઉ 29 માર્ચ 2023ના 10 મિલિયન પેસેન્જર્સનો આંકડો પહોંચ્યો હતો.એરપોર્ટ હવે સરેરાશ 240 થી વધુ દૈનિક ફ્લાઇટ મૂવમેન્ટની સુવિધા આપે છે અને તેના બે ટમનલ દ્વારા 32,000 સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મુસાફરોને પૂરી સેવા પાડે છે.
20 નવેમ્બર 2023ના એરપોર્ટે એક જ દિવસમાં 42224 મુસાફરોને સેવા આપી
20 નવેમ્બર 2023ના એરપોર્ટે એક જ દિવસમાં 42224 મુસાફરોને સેવા આપી હતી જ્યારે 19 નવેમ્બરના રોજ 40,801 મુસાફરો અને 18 નવેમ્બરના રોજ 38,723 મુસાફરોએ મુસાફરી કરી હતી. 19 નવેમ્બર 2023 ના રોજ 359 ફ્લાઇટ મૂવમેન્ટ સાથે સમાન સમયગાળા દરમિયાન સૌથી વધુ ફ્લાઇટ મૂવમેન્ટ રેકોર્ડ કરવામાં આવી હતી.હાલ અમદાવાદ એરપોર્ટ 42 સ્થાનિક સ્થળોને સાત એરલાઈન્સ સાથે અને 15 ઈન્ટરનેશનલ ડેસ્ટિનેશનને 18 એરલાઈન્સ સાથે જોડે છે.
વર્ષ 2023માં ભારતના સૌથી વ્યસ્ત એરપોર્ટ
એરપોર્ટ | મુસાફરો |
દિલ્હી | 6.53 કરોડ |
મુંબઇ | 4.39 કરોડ |
બેંગ્લુરુ | 3.19 કરોડ |
હૈદરાબાદ | 2.09 કરોડ |
ચેન્નઇ | 1.85 કરોડ |
કોલકાતા | 1.77 કરોડ |
અમદાવાદ | 1.01 કરોડ |
કોચી | 88 લાખ |
ગોવા | 83 લાખ |
પૂણે | 80 લાખ |