એહમદપુર માંડવી ચેકપોસ્ટ પર તોડ મુદ્દે ઉનાના PI, ASI, વચેટિયા સામે FIR
ઉનાના PI, ASI, વચેટિયા સામે FIR, ભ્રષ્ટાચારના સીધા પુરાવા મળતાં ACB દ્વારા કાર્યવાહી ગેરેજ ધરાવતા શખ્સને પકડી તપાસ કરતાં તેના મોબાઈલમાંથી PI સાથેના વહીવટના સંવાદો મળ્યા, જૂનાગઢ એસીબીના DY.SP.એ ફરિયાદ નોંધાવી

જૂનાગઢ, : ઉના દીવ વચ્ચે આવેલી એહમદપુર માંડવી ચેકપોસ્ટ પર એસીબીના સ્ટાફે બાતમીના આધારે તપાસ કરતા એક શખ્સ વાહનચાલકો પાસેથી પૈસા પડાવતા પકડાયો હતો. ગેરેજ ધરાવતા આ શખ્સની પૂછપરછ અને તેના મોબાઈલ ફોનમાં તપાસ કરતા તેના ઉના પી.આઈ. અને એ.એસ.આઈ. સાથેના વહીવટ અંગેના સંવાદો મળ્યા હતા. આ મામલે આજે જૂનાગઢ ડીવાયએસપીએ ઉના પી.આઈ, એ.એસ.આઈ. અને વચેટીયા સામે ફરિયાદ નોંધાવતા ગીર-સોમનાથ એસીબીએ ગુનો દાખલ કર્યો છે. આ અંગે રાજકોટ એકમનો એસીબી પીઆઈએ વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વધુ વિગત મુજબ, કેન્દ્ર શાસીત દિવ તરફથી આવતા વાહનો ઉના પોલીસ સ્ટેશનની હદમાં આવેલી અહેમદપુર માંડવી ચેકપોસ્ટ પર ચેક કરી કોઈને કોઈ બહાને પોલીસ કર્મીઓ નાણાં પડાવતા હોવાના આક્ષેપો ઉઠયા હતા. આ અંગે એસીબીને રજુઆત થઈ હતી. જેના આધારે ગત તા. 30-12-2023 ના ગીર-સોમનાથ એસીબીએ અહેમદપુર માંડવી ચેકપોસ્ટ પર છટકુ ગોઠવ્યું હતું. આ દરમ્યાન એસીબીની ટીમને જોઈ ચેકપોસ્ટ પર હાજર પોલીસકર્મી તથા એક શખ્સ નાસી ગયા હતા.
એસીબીની ટીમે પીછો કરી મુળ સંખેડા તાલુકાના મોટી છીપવાડ ગામના અને હાલ ઉના રહેતા અને ત્યાં ગેરેજ ધરાવતા નિલેશ અભેસીંગ તડવીને પકડી લીધો હતો. તેની પુછપરછ તેમજ તેની પાસેથી મળી આવેલા મોબાઈલ ફોનમાં કોલ રેકોર્ડની ઓડિયો ફાઈલ ચેક કરતા ઉના પોલીસ સ્ટેશનના પીઆઈ એન.કે. ગોસ્વામી તથા અહેમદપુર માંડવી ચેકપોસ્ટ પરના પોલીસકર્મીઓ સાથે કરેલી વાતચીતના સંવાદો મળી આવ્યા હતા. જેના પરથી આ સ્થળે પોલીસ દ્વારા વાહનચાલકો પાસેથી તોડ કરવામાં આવતું હોવાનું સાબિત થયું હતું. પ્રાથમિક તપાસ દરમ્યાન મોબાઈલ ફોનના કોલ લોગ અને ડેટાની એફએસએલ દ્વારા વૈજ્ઞાાનિક ઢબે ચકાસણી કરતા ભ્રષ્ટાચારને લગતી રજુઆત સાચી હોવાના સીધા પુરાવા પ્રાપ્ત થયા હતા.