ગુજરાતની શિયાળા માટે સ્પેશિયલ વાનગી : વરાળીયુ શાક બનાવવા માટેની રીત
વરાળીયુ શાકની ચટણી બનાવવા માટે: ફૂદીનો ૫૦ ગ્રામ , આદુ ૫૦ ગ્રામ, કોથમરી-૨૦૦ ગ્રામ,
લીલી હળદર અને આંબા હળદર ૫૦ ગ્રામ, ૩ લીબુંનો રસ, લીલું લસણ ૫૦ ગ્રામ, સૂકું લસણ ૨૫, ગોળ ૧૦૦ગ્રામ, શીગદાણા ૧૦૦ગ્રામ, લીલા મરચાં ૧૦૦ગ્રામ, લાલ(સૂકા નહી,લીલા) મરચાં ૧૦૦ગ્રામ

આ બધી સામગ્રીને ભેગી કરવી અને ખાંડણીમાં નાખી વાટીને ચટણી બનાવવી. આ ચટણી મિક્સરમાં પણ બનાવી શકો છો. ખાંળણીમાં વાટીને બનાવેલી ચટણીનો સ્વાદ સારો હોય છે બને તો મિક્સર ઉપયોગ ન કરવો જોઈએ. આ ચટણીના લીધે જ વરાળીયા શાકમાં ટેસ્ટ સારો આવશે બાકીની ચટણી જમવામાં પણ લઈ શકાશે. તમારા ટેસ્ટ પ્રમાણે મસાલામાં વધઘટ કરી શકો છો ગળપણ માટે દેશી ગોળ લેવો.

વરાળીયુ શાક માટે જરૂરી સામગ્રી:
દાણા : લીલાચણા ૧૫૦ ગ્રામ
લીલાવટાણા ૨૦૦ ગ્રામ
લીલીતુવેર ૨૦૦ ગ્રામ
લીલાવાલ ૧૦૦ ગ્રામ
ચોળાના બી ૧૦૦ ગ્રામ
બધાં જ પ્રકારના કંદમૂળ : બટેટા ૪ નંગ, ગાજર ૧૫૦ ગ્રામ , સૂરણ ૧૦૦ગ્રામ, શક્કરીયા ૧૦૦ગ્રામ,
બધા જ કંદમૂળને છાલ ઉતારી લઈ એકસરખી સાઈઝમાં સમારી લેવા.

શીગમાં : ચોળી ૧૦૦ગ્રામ, ગુવાર ૧૦૦ગ્રામ, વાલોડ ૧૦૦ગ્રામ, પાપડી ૧૦૦ગ્રામ,
એક સરખું સમારેલું. પતેદાર શાક : કોબી ૧૫૦, ફ્લાવર ૧૦૦.
શાકમાં : નાના ગુલાબી રીગણા ૧૫૦ગ્રામ , ટીડોળા ૧૦૦ગ્રામ, દુધી ૧૦૦ગ્રામ, ગલકા ૧૦૦ગ્રામ, તુરીયા ૧૦૦ગ્રામ,
એક સરખું સમારી લેવું.


લીલો મસાલો : કોથમરી ૧૦૦, લીલું લસણ ૧૫૦, લીલી ડુંગરી ૧૫૦, સૂકી ડુંગરી ૧૫૦. બધું જીણું સમારી લેવું.
ઉપરાંત દેશી ટમેટાં ૨૦૦ગ્રામ.
જીણા સમારેલા. ભાજી : પાલક ૧૦૦, તાજીયાની ભાજી ૧૦૦, મેથીની ભાજી ૧૦૦, બધી જ ભાજીને સમારી લેવી.
આમાથી અમુક શાક ન હોય તો ચલાવી લેવું

વરાળીયુ શાક બનાવવા માટેની રીત : આ શાક તમે ચૂલ્હા પર બનાવશો તો તેનો ટેસ્ટ વધુ આવશે સૌ પ્રથમ બે બે ઈટોના ત્રણ મૂકી મંગાડો કરવો મંગારો ન કરવો હોય તો ચુલ્હો પણ ચાલે કે જેના પર તપેલું મૂકી શકાય. ચૂલ્હા પર પર જાડું તપેલું મૂકવું તેમાં આશરે પાંચ લીટર પાણી ગરમ કરવા મુકવું. આ પાણી ગરમ થાય ત્યારે તેમાં પલાળેલી અડદની દાળ ઓરવી ૧૦ મિનીટ જેવું થાય એટલે એક ઝારાની મદદથી પાણીની ઉપર આવેલી દાળની આછને બહાર કાઢી લેવી.

એક વાતનો ખાસ ખ્યાલ રાખજો કે વરાળીયામાં પાણી શરૂવાતમાં લીધું તે જ પાણી રાખવાનું છે પછીથી તેમાં જરા પણ પાણી ઉમેરવું નહી, નહિતર તેના સ્વાદમાં અસલી ટેસ્ટ નહી આવે. થોડું વધારે પાણી હશે તો થોડું વધારે સમય ઉકાળીને ઘાટુ કરી શકાશે. તપેલા પર કિનારી વાળું પાણી ભરી શકાય તેવું છીબુ ઢાંકી રાખવું. આમ છીબા પર પાણી નાખવાથી પોતાની જ વરાળથી શાક પાકશે.

ત્યારબાદ ગરમ પાણીના તપેલામાં સૌ પ્રથમ બધાં જ પ્રકારના કંદ ઉમેરવા. આ બધાં કંદમૂળને ચઢવામાં વધારે સમય લાગતો હોવાથી તે સૌથી પહેલાં ઉમેરવામાં આવે છે. પંદર મિનીટ ચઢવા દઈ પછી તેમાં શીગ ના શાકો ઉમેરવા. વચ્ચે વચ્ચે તપેલાનું ઢાકંણ ખોલી શાકને મોટા હાથાવાળા તાવીથાની મદદથી હલાવતા રહેવા. પાણી ઉમેરવાનું નથી. શીગો ચઢવા આવે ત્યારે તેમાં બધા દાણા ઉમેરવા. બીજી પંદરેક મિનીટ રહીને તેમાં દળવાળા શાકો ઉમેરવા.

વરાળીયાને તાવિયાની મદદથી હલાવતા રહેવું. હવે તેમાં કોબી અને ફ્લાવર ઉમેરવા. તે ચઢવા આવે એટલે તેમાં ભાજીઓ ઉમેરવી. સાથે જ લીલા મસાલાની તમામ સામગ્રી પણ ઉમેરી દઈ શકાય. વરાળનો મહતમ વપરાશ થઈ રહે તે માટે તપેલા પરના ઢાકણમાં જરૂર પ્રમાણે પાણી પણ ઉમેરતાં જવું અને વરાળીયાને તાવીયા વડે હલાવતા રહેવું કે જેથી તે તળીયે બેસી ન જાય.

વરાળીયુ શાક : રસોઈ બનાવતા સમયે બળતણનો તાપ મધ્યમ રહે તેનું ખાસ દયાન રાખવું. તાપ બહુ વધારે હશે તો શાક બેસવા માંડશે અને સાવ ધીમો હશે તો બનતા વધારે સમય લાગશે. ભાજી વગેરે આશરે દસેક મિનીટ ચઢવા આવે ત્યારે છેલ્લે તેમાં ટમેટાં ઉમેરી મીઠું નાખવું. ટમેટા નાખતાં બીજા શાકો ચઢવાના બંધ થઈ જાય છે માટે તે છેલ્લે ઉમેરવા.

વરાળીયુ શાક : તેમાં સ્વાદકારક ચટણી ઉમેરવી. ચટણીનું પ્રમાણ તમારા ટેસ્ટ મુજબ રાખી શકાય. સાથે નમક ઉમેરી દો. આશરે દસેક મિનીટમાં બધાં જ શાકો બરાબર ચઢી જશે. તેયાર છે આપનું વરાળીયું શાક. આ શ્હક બિલકુલ તેલ વગે બનાવવામાં આવે છે આ શાક વાળીએ ખાવાની મજા અલગ જ હોય છે

