મકરસંક્રાંતિના પર્વ દરમિયાન દાન-પુણ્ય માટે ચોતરફ સેવાયજ્ઞા ધમધમશે
દાન અને પુણ્ય માટે તમામ સપ્રંદાયોના ધર્મશાસ્ત્રોમાં વર્ણવાયા મુજબ મકરસંક્રાંતિના મહિમાવંતા મહાપર્વ દરમિયાન ગોહિલવાડમાં અત્ર, તત્ર અને સર્વત્ર અઢળક જીવદયાલક્ષી પ્રવૃતિઓનો ભારે ધમધમાટ જોવા મળશે. શ્રધ્ધાળુઓ દ્વારા ચોતરફ સેવાકીય અને જીવદયા પ્રવૃતિઓ ભારે ઉત્સાહભેર હાથ ધરાશે.
મકરસંક્રાંતિના આ પર્વ અંતગર્ત અબોલ પક્ષીઓ માટે દાણા-પાણી સ્થાનિક ગૌશાળાઓ અને પાંજરાપોળમાં ગાયોને ઘાસચારાનું અને ભૂદેવ, સંતો,મહંતો, પુજારીઓ તેમજ નિરાધારોને વસ્ત્ર, અન્ન અને રોકડ સહાયનું વિતરણ કરવામાં આવશે.
જયોતિષશાસ્ત્ર મુજબ એક વર્ષમાં બે આયન (સૂર્યને વિસ્તરવાની દિશા) છ ઋતુ અને બાર માસ હોય છે. સૂર્ય સમગ્ર વર્ષ દરમિયાન એક રાશિમાં લગભગ એક માસ રહિને બાર રાશિમાં પરિભ્રમણ કરે છે.

સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે તેને સંક્રાંતિ કહે છે. સૂર્ય હાલમાં ધન રાશિમાં છે તેથી ધનારક કહેવાય છે. આગામી તા.૧૪ જાન્યુઆરીએ સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરશે તેથી તે દિવસે મકરસંક્રાંતિ થશે અને સૂર્યનું દક્ષિણ દિશામાંથી ઉત્તર દિશા તરફ વિસ્તારવાનું શરૂ થશે જે છ માસ સુધી રહેશે. આ સમયગાળાને ઉત્તરાયણ કહે છે.એટલે કે, મકરથી મિથુન રાશિમાં સૂર્ય હોય ત્યારે ઉત્તરાયણ. જે દેવોના દિવસો અને કર્કથી ધન રાશિમાં સૂર્ય હોય ત્યારે દક્ષિણાયન જે દેવોની રાત્રી કહેવાય છે તેથી ઉત્તરાયણના સમયગાળાને સર્વોત્તમ અને શુભ સમય ગણાવાયો છે.
એટલે કે, મહાભારતની કથા અનુસાર ભિષ્મ પિતામહનું મૃત્યુ દક્ષિણાયનમાં થયુ હતુ પણ આ સમયગાળો શુભ ન હોવાથી અને તેઓને ઈચ્છામૃત્યુનુ વરદાન હોવાથી તેઓએ કષ્ટદાયક એવી બાણની શૈયા પર રહીને ઉત્તરાયણ સુધી મૃત્યુને રોકી રાખ્યુ હતુ. મકર સંક્રાંતિના દિવસે સૂર્યની સંક્રાંતિ થાય તે સમયથી લગભગ દશ કલાક સુધીનો સમયગાળો દાન અને પુણ્ય કરવા માટે અતિ ઉત્તમ ગણાવાયો છે. આથી સૌ કોઈ મકરસંક્રાંતિના પર્વે અચૂક અધિક પ્રમાણમાં દાન, પુણ્ય અને જીવદયા પ્રવૃતિઓ કરતા હોય છે.
આ દિવસે શ્રધ્ધાળુઓ પવિત્ર નદી, જળાશયમાં સ્નાન, પુજા, પાઠ તથા ગરીબ, જરૂરીયાતમંદ, નિરાધારોને તલ, ગોળ, અનાજ અને ગરમ વસ્ત્રોના દાન કરીને ગાય વગેરે પશુઓને ઘાસચારો આપીને તેઓની દુઆ મેળવીને પુણ્ય પ્રાપ્ત કરે છે. આ ઉપરાંત આ પર્વને લઈને ગોહિલવાડની તમામ પાંજરાપોળ, ગૌશાળાઓમાં પશુઓને ઘાસચારો નાખવામાં આવે છે.ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસીએશન સહિતના વેપારી સંગઠનો દ્વારા ઉત્તરાયણના પર્વ નિમીત્તે શહેરના નિર્મળનગર સહિતના સ્થળોએ અનુદાન એકત્રિકરણ કરવા માટેના કલેકશન સેન્ટર ઉભા કરાયા છે.
- ભૂદેવ,સંતો,મહંતો તેમજ પૂજારીને વસ્ત્ર, અનાજના દાનનો મહિમા
- ગોહિલવાડની ગૌશાળાઓ અને પાંજરાપોળમાં અબોલ પશુઓને ઘાસચારો નાખવામાં આવશેં
દાનમાં આપવાપાત્ર વસ્ત્રોના વેચાણમાં ઉછાળો
પવિત્ર મકરસંક્રાંતિના પર્વ દરમિયાન ભાવનગર શહેરના હેરીશ રોડ, રાંધનપુરી બજાર તેમજ શેલારશા રોડ સહિતના વિસ્તારોમાં આવેલી કાપડની દુકાનોમાં દાન-પુણ્યના સત્કાર્યમાં આપવા માટેના પિતાંબરી, ધોતીયુ, લાલ ગમચા, રાશીવાઈઝ રંગના કાપડ, રામનામ લખેલી શાલ, લાલ મુગટો તથા પેન્ટ શર્ટનું કાપડ તેમજ તૈયાર વસ્ત્રોના વેચાણમાં ઉછાળો આવી રહ્યો છે. ગત વર્ષની તુલનામાં આ વર્ષે દાનપાત્ર વસ્ત્રોના ભાવમાં ૧૫ થી ૨૦ ટકાનો વધારો થયો હોવા છતાં તેની માંગ યથાવત રહેલ છે.