પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના સોનાવીટી ગામે નજીવી બાબતે એકના એક પુત્રએ પિતાની ઘાતકી હત્યા કરી નાખી
પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના સોનાવીટી ગામે નજીવી બાબતે એકના એક પુત્રએ પિતાની ઘાતકી હત્યા કરી નાખી. પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા પુત્રની ધરપકડ કરી લીધી છે.

સગા બાપની ઘાતકી હત્યા કરી નાખી
સતયુગમાં એક શ્રવણ હતો જે પોતાના માતા-પિતાને કાંધે કઈ યાત્રા પર નીકળ્યો હતો, ત્યારે હાલના હળાહળ કળયુગમાં એક કપુત્ર એવો પાક્યો જેને પોતાના જ સગા બાપની ઘાતકી હત્યા કરી નાખી છે. વાત છે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના સોનાવીટી ગામની, જ્યાં પિતા અને પુત્રના સંબંધને લાંછન લગાવતો બનાવ બન્યો છે.
નોકરી ધંધા માટે આપ્યો હતો ઠપકો
હાલોલ તાલુકાના સોનાવીટી ગામે રહેતાં સોમાભાઈ મનસુખભાઈ નાયક (ઉં.વ 65) જે પોતાના પરિવાર સાથે રહેતા હતા. મજૂરી કરીને પેટિયું રડતા સોમાભાઈને પરિવારનું ગુજરાન ચલાવવામાં તકલીફ પડતી હોય બીજી બાજુ તેમનો જુવાનજોધ દીકરો અર્જુનભાઈ સોમાભાઈ નાયક જે છેલ્લા કેટલાક સમયથી કોઈ કામ ધંધો કરતો ન હોય પિતા સોમાભાઈએ કડક શબ્દોમાં દીકરાને નોકરી ધંધા માટે ઠપકો આપ્યો હતો. સામાન્ય રીતે પિતા પુત્રને હંમેશા તેના ભલા માટે ઠપકો આપતા જ હોય છે પરંતુ સોમાભાઈને ક્યાં ખબર હતી કે કમાવા માટે પુત્રને આપેલ ઠપકો ઘાતકી નીવડશે.

પિતાની કરી નાખી હત્યા
પિતાના ઠપકાથી ગુસ્સે ભરાયેલા પુત્ર અર્જુને પિતા સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. પિતા પુત્ર વચ્ચે થયેલા ઝઘડાએ રોદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ દરમિયાન પુત્ર અર્જુને ગુસ્સામાં પિતાના માથા પર લાકડાના ડંડાના ઘા ઝીંકી દીધા. જેથી પિતાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જે બાદ અર્જુન ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
પોલીસે ગણતરીની કલાકમાં કરી ધરપકડ
હળાહળ કડયુગની સાક્ષી પૂરતા આ હત્યાકાંડની જાણ થતાં હાલોલ રુરલ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જે બાદ પોલીસે તપાસનો ધમધમાટ ચલાવીને ગણતરીના કલાકોમાં જ નિર્લજ્જ હત્યારા પુત્રને ઝડપી પાડ્યો હતો.
પરિવાર પંખીના માળાની જેમ વિખેરાઈ ગયો
એકના એક પુત્રએ પિતાની હત્યા કરી નાખતા આખો પરિવાર પંખીના માળાની જેમ વિખેરાઈ ગયો છે. પિતાની હત્યા પુત્ર જેલમાં ગયો અને માં એકલી નોંધારી બની જતાં હવે સોમાભાઈના પરિવાર સામે જોનારું કોઈ ન રહ્યું.