જૂનાગઢમાં તોડકાંડ કેસમાં એટીએસને તપાસ સોંપવામાં આવી છે, જૂનાગઢ એસઓજી ની ઓફીસમાંથી બેંક એકાઉન્ટની ડિટેલ્સ મળી આવી હતી
જૂનાગઢ તોડકાંડ કેસમાં એટીએસ દ્વારા તપાસ શરૂ કરી છે. જેમાં જૂનાગઢ એસઓજીની ઓફિસમાંથી બેંક એકાઉન્ટની ડિટેલ્સ મળી આવી છે. તેમજ 315 બેંક એકાઉન્ટની વિગતની તપાસ હાલ ચાલુ છે. ત્યારે તોડકાંડમાં જુદી જુદી બેંકના કર્મીઓની સંડોવણી સામે આવી છે. સિનિયરથી લઈ બેંક કર્મીઓની સંડોવણી સામે આવી છે. એસઓજીની કચેરીમાંથી થયેલા ફોન કોલની તપાસ કરાશે.

એટીએસની ટીમે નિવેદન લેવાની કાર્યવાહી શરૂ કરી
સટ્ટાકાંડનાં આરોપી કેરળનાં કાર્તિક ભંડારીનું એકાઉન્ટ ફ્રીઝ કરી દીધું હતું. એકાઉન્ટને ચાલુ રાખવા દેવા પોલીસે રૂપિયાની માંગ કરી હતી. તોડકાંડ બાદ પોલીસકર્મીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. એટીએસની ટીમે નિવેદન લેવાની કાર્યવાહી શરૂ કરી છે.
રેન્જ આઈજીએ 3 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો
જૂનાગઢમાં 335 જેટલાં બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરી અનફ્રીઝ કરવા નાણાં માંગવાના કેસમાં રેન્જ આઈજીએ 3 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે. જેમાં માણાવદર CPI તરલ ભટ્ટ, SOGના PI અરવિંદ ગોહિલ અને ASI દિપક જાનીને સસ્પેન્ડ કરાયા છે.
SOG PI અરવિંદ ગોહિલ પણ સસ્પેન્ડ
કેરળના કાર્તિક જગદીશ ભંડારીએ બેન્ક એકાઉન્ટ અન ફ્રીઝ કરવા માટે પોલીસ કર્મચારીઓએ નાણાં માંગ્યા હોવાની રજૂઆત કરી હતી. રજૂઆત બાદ તપાસ કરતાં ફ્રીઝ થયેલાં એકાઉન્ટથી ગરબડ થયાની શંકા ગઈ હતી. વધુ તપાસ કરતાં SOG ના PI અરવિંદ ગોહિલ અને ASI દિપક જાનીની સંડોવણી હોવાનુ ખુલ્યુ હતુ. તેથી તાત્કાલિક અસરથી બંને કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા હતા.
કેસની તપાસ ATS ને સોંપવામાં આવી
જ્યારે કેસની વધુ તપાસમાં માણાવદર CPI તરલ ભટ્ટનુ પણ સામેલ હોવાના પુરાવા મળતાં સસ્પેન્ડ કરાયા હોવાનુ રેન્જ આઇજી નિલેશ જાજડીયાએ જણાવ્યુ હતુ. મહત્વપૂર્ણ છે કે, અમદાવાદમાં એક કેસમાં તરલ ભટ્ટને સસ્પેન્ડ કરીને માણાવદર ખાતે બદલી કરવામાં આવી હતી.
જૂનાગઢના બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરવાના કેસમાં તરલ ભટ્ટની સંડોવણી બહાર આવતાં બીજી વખત સસ્પેન્ડ કરાયા છે. હાલમાં ક્યાં બેન્ક એકાઉન્ટ હોલ્ડર પાસેથી કોણે કેટલી રકમ લીધી છે તેના પુરાવા મેળવવા ATS ને તપાસ સોંપવામાં આવી છે.