કાચબા ગતિએ ચાલતું ઉમરગામ રેલવે ઓવરબ્રિજનું કામ
પેટિયું રળવાની મજબુરી…

કાચબા ગતિએ ચાલતું ઉમરગામ રેલવે ઓવરબ્રિજનાં નિર્માણથી આમપ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. પુર્વ વિસ્તારોનાં કેટલાંક લાચાર લોકોએ જીઆઈડીસીમાં પેટિયું રળવા, મજબુરીમાં સાઈકલ પર સવારી કરવી પડે છે. આવાં લોકોએ, સાઈકલ ઉંચકીને, ઉમરગામ રેલવે ફુટ ઓવરબ્રિજ પસાર કરવાની હાલાકી વેઠવી પડી રહી છે. જે ફોટામાં દ્રશ્યમાન છે.

સદર રેલવે ઓવરબ્રિજનાં નિર્માણને વેગ અપાવવાં, કોઈ સ્થાનિક રાજકારણીઓ, પંચાયતોનાં સભ્યો કે પદાધિકારીઓ, જીઆઈડીસીનાં ઉદ્યોગપતિઓ તથાં ઉંચી ઉંચી વાતોનાં લંગોટા છોડતાંઓ આગળ આવતાં નથી. કેટલાંકને તો ફક્ત, નારિયેળ ફોડવાનાં ફોટા પડાવી ચમકવાનો અભરખા સિવાય, પુર્વ વિસ્તારોનાં લોકોને વેઠવી પડતી હાલાકી દૂર કરવામાં કોઈ જાજો રસ દેખાતો નથી..!

ઉમરગામ જીઆઈડીસીની એકમાત્ર ઉમરગામ ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશનની ટીમ પણ આ બાબતે વામણી સાબિત થઈ છે. જેઓ, બિચારાં પોતાનાં કેટલાંક અડુકીયા દડુકીયાઓને લઈ, છાશવારે ગાંધીનગર, દિલ્હી તરફ ફોટાઓ પડાવી અનોખો બળાપો વ્યક્ત કરતાં હોવાનું પણ ચર્ચિત છે. રેલવે ઓવરબ્રિજનાં

કામને ઝડપી કરાવવાં કોઈ દિવસ વલસાડ જીલ્લા વહીવટી તંત્રને
રૂબરૂમાં દર્શન આપ્યાં હોય એવું જણાયું નથી..!
ટ્રેનની અડફેટે આવે તો જવાબદાર કોણ?
સાયકલ હાથમાંથી સરકે અથવા પગથીયા ચડવામાં ગફલત થાય અને અન્ય રાહદારીઓને ઈજા પહોંચે તો જવાબદારી કોની?