અમદાવાદની ચાર ખાનગી પ્રાથમિક સ્કૂલોની માન્યતા સરકારે રદ કરી
Table of Contents

હાટકેશ્વરની બે સ્કૂલોને તાત્કાલિક અસરથી અને ગેરતપુરની બે સ્કૂલોને જૂન ૨૦૨૪થી બંધ કરવા આદેશ
અસુવિધાઓ અને વિવિધ ગેરરીતિ સહિતના કારણોસર લેવાયો નિર્ણય
ખોટી વિગતો જાહેર કરી ખોટું સોગંધનામુ રજૂ કરી માન્યતા મેળવેલ હોવાનું સાબીત થયું
અમદાવાદને ગેરતપુર રેલ્વે ક્રોસિંગ નજીક આવેલી નૂતન એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત બે ખાનગી પ્રાયમરી સ્કૂલોની માન્યતા રદ કરવામા આવી છે. આ સ્કૂલો સામે થયેલી ફરિયાદ બાદ અમદાવાદ શહેર ડીઈઓ કચેરી દ્વારા અધિકારીઓને રૂબરૂ મોકલીને તપાસ કરવામા આવી હતી અને ત્યારબાદ 23 ઓક્ટોબરે રૂબરૂ સુનાવણી કરવામાં આવી હતી જેમાં મેનેજમન્ટ તરફથી હાજર ન રહેતા 8 નવેમ્બરે ફરીથી સુનાવણી રખાઈ હતી.
તપાસના તારણો અને સુનાવણીના નિવેદન બાદ ફાઈનલ રિપોર્ટ અમદાવાદ શહેર ડીઈઓ દ્વારા પ્રાથમિક શિક્ષણ વિભાગને મોકલાયો હતો. અમદાવાદ શહેર ડીઈઓના જણાવ્યા મુજબ આ ટ્રસ્ટની સ્કૂલ અગાઉ બીજા સ્થળે હતી અને જે શહેર ડીઈઓ કચેરીમાં સ્થળ ફેરફારની તપાસ ફાઈલ ચાલતી હતી. જેથી આ ફરિયાદની તપાસ પણ અહીંયાથી જ કરાઈ હતી. તપાસ બાદ ધ્યાને આવ્યું હતુ કે નૂતન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા નૂતન હિન્દી વિદ્યાલય, શ્રદ્ધા ઈન્ટરનેશનલ સ્કૂલ ( ધો.1થી5 અંગ્રેજી માધ્યમ ) અને ભગવતી ગુજરાતી બાલ મંદિર તથા પ્રાથમિક સ્કૂલ (ગુજરાત માધ્યમ ધો.1થી8) એક જ સ્થળે એક બિલ્ડીંગમાં ચલાવવામા આવે છે.

મંજૂરી સમયના નકશા મુજબ 6 રૂમ મંજૂર હતા અને જેમાં આ ત્રણ સ્કૂલો કાર્યરત છે પરંતુ સ્કૂલ મેનેજેન્ટના લેખિત નિવેદન મુજબ સ્કૂલમાં 11 વર્ગખંડો છે.જેમાંથી હાલ પાંચનું બાંધકામ ચાલી રહ્યું છે. જેથી જરૂરીયાાત મુજબના વર્ગખંડો ઉપલબ્ધ ન હોવાથી અને મંજૂર સમયે એફિડેવિટમાં ખોટી વિગતો જાહેર કરી ખોટું સોગંધનામુ રજૂ કરી માન્યતા મેળવેલ હોવાનું સાબીત થયું છે ઉપરાંત જિલ્લા તપાસ અહેવાલ મુજબ ભગવતી બાલમંદિર અને પ્રાથમિક શાળાના નામ ફેરફાર અંગે મંજૂરી કે નામંજૂરી અંગે કોઈ પણ આદેશ શાળાને મળેલ નથી તેમ છતાં શ્રદ્ધા બાલવર્ગ અને ગુજરાતી પ્રા.સ્કૂલના નામે શાળા ચલાવામાં આવે છે.
આ બંને સ્કૂલો જુન 2024થી બંધ કરવાની રહેશે
આમ આ ગેરરીતિ અને અપુરતી સુવિધાના લીધે તપાસ રિપોર્ટના આધારે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા શ્રદ્ધા ઈન્ટરનેશનલ ધો.1થી5 અંગ્રેજી માધ્યમ સ્કૂલ અને ભગવતી બાલમંદિર તથા પ્રાથમિક સ્કૂલ ગુજરાતી માધ્યમ ધો. 1થી8ની માન્યતા રદ કરવામા આવી છે. આ બંને સ્કૂલો જુન 2024થી બંધ કરવાની રહેશે અને અમદાવાદ શહેર ડીઈઓએ આરટીઈ સહિતના વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલમાં વાલીની સંમંતિ લઈને ટ્રાન્સફર કરવાના રહેશે તેમજ તમામ સ્કૂલ દસ્તાવેજી રેકોર્ડ માટે પણ કાર્યવાહી કરવાની રહેશે.

આ બે સ્કૂલ ઉપરાંત અમદાવાદ શહેરના હાટકેશ્વર વિસ્તારની નૂતન હિન્દી માધ્યમ સ્કૂલ અને નૂતન ગુજરાતી માધ્યમ સ્કૂલની પણ માન્યતા રદ કરવાનો પ્રાથમિક શિક્ષણ નિયામકે આદેશ કર્યો છે. આ સ્કૂલનું બિલ્ડીંગ જર્જરીત હાલતમાં હતુ અને બાંધકામ નબળુ હોવા સાથે સ્ટ્રકચરલ તેમજ બિલ્ડીંગ સલામતી રિપોર્ટ અને સર્ટિફિકેટ સહિતના ડોક્યુમેન્ટ પણ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા રજૂ કરવામાં આવ્યા ન હતા. જેથી સ્થળ તપાસ અને રૂબરૂ સુનાવણી બાદ અમદાવાદ શહેર ડીઈઓના ફાઈનલ અહેવાલના આધારે બંને સ્કૂલની માન્યતા રદ કરવાનો ઓર્ડર કરે છે તેમજ આ બંને સ્કૂલો બાળકોની સલામતીને જોતા તાત્કાલીક અસરથી બંધ કરાશે. આ બંને સ્કૂલો પણ ખાનગી પ્રાયમરી સ્કૂલો છે.
વિવિધ ગેરરીતિઓ અને અસુવિધાઓ તેમજ બિલ્ડીંગ સહિતના વિવિધ કારણોને લીધે સરકારના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા અમદાવાદ શહેર ડીઈઓ કચેરીના તપાસ રિપોર્ટના આધારે ચાર સ્કૂલોની માન્યતા રદ કરવાનો ઓર્ડર કરવામાં આવ્યો છે. જેમાં બે સ્કૂલો હાટકેશ્વરની છે અને બે સ્કૂલો ગેરતપુરની છે. આ ચારેય સ્કૂલો ખાનગી અને પ્રાયમરીની છે.
અમદાવાદ: 4 ખાનગી પ્રાથમિક સ્કૂલોની માન્યતા રદ 1 good